દિવાળીના તહેવારનો બીજો દિવસ એટલે કાળી ચૌદશ. માતા દુર્ગાના બે સ્વરૂપો છે એક સૌમ્ય, ધીર અને ગંભીર જ્યારે બીજું રૌદ્ર. મહાકાળીનું સ્વરૂપ એ રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદશના દિવસે રાતે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહે છે. કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતા જોડાયેલી છે. આજના  દિવસે રાત્રે ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. કાળી ચૌદશે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. જેને નાની દીવાળી પણ કહે છે. આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. એક પૌરાણિક કથા છે કે નરકાસૂર નામના રાક્ષસે 16000 જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસૂરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો. જેને લઈને આ દિવસને નરકા ચતુર્દશી કે નરક ચતુર્દશી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણે સત્યભામાના મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલા પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી. 


આજે ધનતેરસ અને કાળી ચૌદશ એમ બંને તહેવાર છે. આજે સાંજે 6 વાગ્યા સુધી તેરસ રહેશે અને ત્યારબાદ કાળી ચૌદશની શરૂઆત થઈ જશે. સાંજે 6 વાગ્યાથી લઈને આવતી કાલે એટલે કે 14 નવેમ્બર શનિવારે બપોરે 2:18 વાગ્યા સુધી કાળી ચૌદશ રહેશે. ત્યારબાદ અમાસની તિથિનો પ્રારંભ થાય છે. કાળી ચૌદશની રાત્રી પૂજા, ભૈરવ પૂજા, હનુમાનજીની ઉપાસના માટે શુક્રવારે રાત્રે પૂજા કરવાની રહેશે. 


આ કામ કરવાથી બચો
કાળી ચૌદશના દિવસે કેટલાક કામો કરવાથી બચવું જોઈએ નહીં તો આખુ વર્ષ ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે એમ કહેવાય છે. 


1. નરક ચતુર્દશીના દિવસે જે લોકોના પિતા જીવતા હોય તેમણે ભૂલેચૂકે યમદેવને તલ તર્પણ ન કરવા. આમ કરવાથી પરિવાર પર સંકટ ઊભુ થાય છે. 
2. આજના દિવસે જીવ હત્યા કરવી જોઈએ નહીં. કારણ કે આ દિવસે યમરાજની પૂજા થાય છે આથી જીવ હત્યાથી પાપ લાગે. 
3. નરક ચતુર્દશીના દિવસે ઘરના દક્ષિણ ખૂણાને જરાય ગંદો રાખવો જોઈએ નહીં. કારણ કે તે યમરાજાનો ખૂણો ગણાય છે. તેનાથી તેઓ નારાજ થાય તેમ કહેવાય છે. 
4. નરક ચતુર્દશીના દિવસે તેલનું દાન બિલકુલ ન કરો. કારણ કે આમ કરવાથી લક્ષ્મી ટકતી નથી. 
5. નરક ચતુર્દશીના દિવસે ક્યારેય મોડા સૂઈને ઉઠવું નહીં. આમ કરવાથી ભાગ્ય હંમેશા માટે સૂતુ રહે છે. 
6. નરક ચતુર્દશીના દિવસે ઝઘડો કરવો જોઈએ નહીં. આમ કરવાથી હંમેશા નકારત્મકતાનો માહોલ રહે છે. 
7. આજના દિવસે ભૂલેચૂકે માંસાહારી ભોજન ન કરવું. માંસાહારી ભોજન કરવાથી નરકની યાતના ભોગવવી પડે છે. 
8. કાળી ચૌદશે દારૂનું સેવન ન કરવું. દારૂ એ તામસી પ્રકૃતિનો ગણાય છે. 
9. આઝના દિવસે ઝાડૂને પગ ન મારવો અને ઝાડૂને ક્યાંય ઊભું પણ ન રાખવું. ઝાડૂને પગ મારવાથી કે ઊભું રાખવાથી ધનનો ખર્ચ વધે છે. 
10. આજના દિવસે અન્નનું અપમાન ન કરવું. અન્નના અપમાનથી હંમેશા અન્ન માટે તરસતા રહેવું પડશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube